ગોધરાના શહેરા ભાગોળમાં જૂનું મકાન તોડતી વખતે દુર્ઘટના
મકાન તોડતી વખતે અચાનક દીવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત
ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારના ચીઠીયાવાડમાં જૂનું મકાન તોડતી વખતે દીવાલ ધરાશાયી થવાની ઘટના બની. પિતા અને પુત્રનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારના ચીઠીયાવાડમાં જૂનું મકાન તોડતી વખતે દીવાલ ધરાશાયી થવાની આ દુર્ઘટનામાં પિતા-પુત્ર દિવાલ નીચે દટાઈ જતાં બંનેનું મોત થયું છે. મૂળ દયાળ ગામના વતની કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા અને તેમના ચાર વર્ષના પુત્ર કિશન પર દીવાલ પડી હતી. જેમાં બંન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયાં હતા. સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ કોન્ટ્રાક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. મહત્વનું છે કે પિતા અને પુત્રનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
