ગાંધીનગરમાં TAT અને TET પાસ ઉમેદવારોનું પ્રદર્શન.
શિક્ષક દિનની ઉજવણીના દિવસે જ ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો.
ધોરણ 9 થી 12 ના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે કર્યો વિરોધ.
એક તરફ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક અનોખું અને પીડાદાયક દૃશ્ય જોવા મળી રહ્યું છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં શિક્ષક ઉમેદવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. શિક્ષક દિને જ આંદોલન કરવાની ફરજ કેમ પડી, તે પ્રશ્ન સૌના મનમાં ઉદ્ભવે છે. ત્યારે આવો જાણીએ આ આર્ટિકલમાં આજના આ ખાસ દિવસે જ કેમ શિક્ષક ઉમેદવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.
શિક્ષક દિવસ એ ગુરુજનોનું સન્માન કરવાનો દિવસ છે, પરંતુ આ દિવસે જ શિક્ષક બનવાની લાયકાત ધરાવતા યુવાનોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે. આ આંદોલનનું મુખ્ય કારણ શિક્ષણ વિભાગ દ્વારા ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવી અને જે ભરતીઓ ચાલી રહી છે તે પણ પૂરેપૂરી ન કરવી તે છે. ઉમેદવારોનું કહેવું છે કે સરકારી શાળાઓમાં વિશેષ શિક્ષકોની ભારે અછત છે, જેના કારણે વિદ્યાર્થીઓને આ વિષયોનું યોગ્ય શિક્ષણ મળતું નથી. બીજી તરફ, લાયકાત ધરાવતા શિક્ષકો બેરોજગાર છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેઓ વર્ષોથી સરકારને રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી. આંદોલનમાં એક મહત્વનો મુદ્દો કોન્ટ્રાક્ટ પ્રથાનો હતો. આ પ્રથા હેઠળ શિક્ષકોને કાયમી નોકરીને બદલે કરાર આધારિત નોકરી આપવામાં આવે છે. આમાં પગાર ઓછો હોય છે અને નોકરીની સુરક્ષા હોતી નથી. કહેવામાં આવે છે કે, આ પ્રથાને કારણે શિક્ષકોનું શોષણ થાય છે અને શિક્ષણની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડે છે. આથી, ઉમેદવારો કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે, જેથી શિક્ષકોને તેમના કામનું યોગ્ય વળતર મળે અને શિક્ષણ વ્યવસાયને સન્માન અને સુરક્ષા મળે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
