બાંગ્લાદેશીઓને ડિટેઇન કરાતા તપાસ
સુરત પોલીસે બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી
ઝોન-૩ વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘૂસણખોરો સામે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે ત્યારે સુરત પોલીસે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે આજે ઝોન-૩ વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરતમાં વિદેશી ઘૂસણખોરોની કામગીરી સામે સક્રિયતા બતાવતાં સુરત પોલીસે બાંગ્લાદેશી નાગરિકોને શોધવા ઝોન-૩ વિસ્તારમાં વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પિનાકીન પરમારના નેતૃત્વમાં મહિધરપુરા અને રામપુરા વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગના મજબૂત કેન્દ્ર તરીકે ઓળખાતા સુરતમાં અનેક પરપ્રાંતીય કામદારો જોડાયેલા છે. ખાસ કરીને બંગાળથી આવેલા કારીગરો સંખ્યાબંધ ડાયમંડ યુનિટ અને કારખાનાઓમાં રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા અનેક કારીગરો પાસે ઓળખપત્ર તરીકે આધારકાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. દસ્તાવેજોમાં ખામી કે શંકાસ્પદ માહિતી હોવા પર તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી રહી છે. DCP પિનાકીન પરમારે જણાવ્યું કે, ગેરકાયદેસર રીતે રહી રહેલા વિદેશી નાગરિકો માટે ઝીરો ટોલેરન્સ ની નીતિ અપનાવવામાં આવી છે. સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થાની દ્રષ્ટિએ આવી કામગીરી સતત ચાલુ રહેશે.