સુરતના પાંડેસરામાં જૂની અદાવતને લઈને બે રાઉન્ડ ફાયરિંગ
ગીતા નગર સોસાયટીમાં બનેલી આ ઘટનાથી ડરનો માહોલ
વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં જૂની અદાવતને લઈને બે રાઉન્ડ ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. પાંડેસરાના ગીતા નગર સોસાયટીમાં બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ભારે ડર જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગીતા નગર સોસાયટીમાં જૂની અદાવતને લઈને બે રાઉન્ડ ફાયરિંગ થતાં વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ અંદાજે પાંચ મહિના જૂની અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ફાયરિંગની જાણ થતાં જ પાંડેસરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાના કારણો અને આરોપીઓની ઓળખ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
