સુરતમાં પોદાર માર્કેટને કરોડો રૂપિયાનું નુકસાન
દોઢ માળ સુધી પાણી ભરાતા 200થી વધુ દુકાનોમાં પાણી
વેપારીઓએ મનપાની ની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા
સુરતમાં બે દિવસના ભારે વરસાદે પોદાર માર્કેટને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. દોઢ માળ સુધી પાણી ભરાતા 200થી વધુ દુકાનોમાં માલસામાન બગડ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યુ હતું. તો વેપારીઓએ મનપાની ની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં.
સુરતના પોદાર માર્કેટમાં સતત બે દિવસ વરસેલા ભારે વરસાદ બાદ દોઢ માળ સુધી પાણી ભરાઈ જતાં 200થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં રહેલો કાપડ, તૈયાર માલ અને અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે 250 કરોડ જેટલું નુકસાન થયું હોવાનુ જણાવાયુ હતું. અનેક વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વેપારીઓનો આક્ષેપ કર્યો હતો કે વારંવાર જાણ કરવા છતાં સુરત મહાનગર પાલિકાના કોઈ જવાબદાર અધિકારીએ સમયસર સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહી કરી ન હતી. પાણી કાઢવાની જવાબદારી પણ વેપારીઓએ પોતે જ ઉઠાવવી પડી હોવાનું તેઓ કહે છે.
આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર અને અન્ય જવાબદાર પ્રતિનિધિઓ પણ મદદે ન પહોંચ્યાનો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો. ભારે આર્થિક નુકસાનને કારણે વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદારો સામે કાર્યવાહી તેમજ યોગ્ય વળતરની માંગ કરી હતી.
