અરવલ્લી શામળાજીમાં ખેડૂત એકતા મંચના પ્રમુખે કલેક્ટરને પત્ર લખ્યો
મેશ્વો નદીમાં પાણી છોડવાની માગ.
ખેતી અને પશુપાલન માટે તાત્કાલિક ડેમમાંથી પાણી છોડવા રજૂઆત.
અરવલ્લી શામળાજીની મેશ્વો નદીમાં પાણી સૂકાઈ જતાં મોડાસા તાલુકાના મેશ્વો નદી કાંઠાના 14 કરતાં વધુ ગામડાઓ અને ભિલોડા તેમજ શામળાજી તાલુકાના નદી કાંઠાના 15 કરતાં વધુ ગામડાના લોકોને અને પશુ પંખીઓને પીવાના પાણી માટે વિકટ સમસ્યા ઉભી થઈ છે.
અરવલ્લી ભિલોડા તાલુકા ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલકુમાર સુરજીભાઈ ગામેતીએ જણાવ્યું હતું કે નદીમાં પાણી સૂકાઈ જવાના કારણે આસપાસના ગામડાઓમાં પાણીના તળ નીચા જતાં પાણીની વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે. સિંચાઈ વિભાગ દ્વારા સત્વરે પાણી છોડવામાં આવે તે માટે કલેકટરને લેખિતમાં રજૂઆત કરાઇ છે. ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલભાઈ ગામેતીએ જણાવ્યું હતું કે શામળાજીના મેશ્વો જળાશયમાં 60 ટકા કરતાં વધુ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. નદીમાં પાણી સૂકાઈ જવાના કારણે આસપાસના ગામડાઓમાં બોર કૂવામાં પાણીના તળ નીચા જતાં માનવ સહિત પશુ પંખીઓ માટે પાણીની સમસ્યાનું નિર્માણ થયું છે. બીજી બાજુ બોરકૂવામાં પાણીના તળ નીચા જતાં પશુપાલકોને લીલા ઘાસચારા માટે પણ મોટી સમસ્યાનું નિર્માણ થયું છે.
બીજી બાજુ હાલ ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં મેશ્વો નદીમાં પાણી સૂકાઈ જતાં નદી કાંઠાના બેચરપુરા રૂદરડી ભવાનપુર શામળપુર ખારી મેરાવાળા નાપડા નાપડા (ખા) ખેરંચા સોડપુર અસાલ વાદીયોલ ખીલોડા અને બ્રહ્મપુરી અને મોડાસા તાલુકાના 14 કરતાં વધુ ગામડાઓના લોકો માટે પાણીની વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
