સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે 70 વર્ષિય વૃદ્ધાની હત્યા
દોહિત્રએ જ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબુલાત
ગોળ ગોળ ફેરવ્યા બાદ પોલીસે કડકાઈથી પુછપરછ કરતા કબુલાત
સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પુણા પરવટ પાટિયા ખાતે 70 વર્ષિય વૃદ્ધાની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો દોહિત્રએ જ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. પહેલા ગોળ ગોળ ફેરવ્યા બાદ પોલીસે કડકાઈથી પુછપરછ કરતા હત્યા કાંડની કબુલાત કરી હતી.
સુરતના પુણા પરવટ પાટિયા ખાતે આવેલ અનમોલ કોમ્પલેક્ષમાં 70 વર્ષીય વૃદ્ધાની ગળુ કાપી કરાયેલી ઘાત્કી હત્યાને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારે આ હત્યા કાંડમાં વૃદ્ધાના દોપિત્રની પોલીસે ધરપકડ કરી છે. વાત એમ છે કે હત્યાકાંડ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લીલાબેનનો 25 વર્ષીય દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલ ત્યાં જ હાજર હતો. હર્ષે પોલીસ સામે મગરમચ્છના આંસુ સારતા એક કહાની ઘડી કાઢી હતી. તેણે જણાવ્યું હતું કે, નાની છેલ્લા ઘણા સમયથી કંટાળી ગયા હતા અને આજે અચાનક તેમણે મારે જીવવું નથી તેમ કહી ચપ્પુ ઉઠાવ્યું હતું. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ ઝપાઝપીમાં તેમને ગળાના ભાગે વાગી ગયું. હર્ષે આ જ વાત તેના પાડોશીઓ અને અન્ય સંબંધીઓને પણ કહી હતી જેથી કોઈને તેના પર શંકા ન જાય. પોલીસને હર્ષની વાતોમાં શરૂઆતથી જ શંકા હતી.ઘટના સ્થળ પર લોહીના ડાઘ અને લાશની સ્થિતિ કંઈક અલગ જ વાર્તા કહેતી હતી. જો કે પીઆઈ વિક્રમ દેસાઈએ તરત જ ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને એફએસએલની મદદ લીધી હતી. જ્યારે નિષ્ણાતોએ તપાસ કરી ત્યારે સ્પષ્ટ થયું કે ગળા પર જે રીતે ઘા કરવામાં આવ્યો હતો તે કોઈ પણ સંજોગોમાં આત્મહત્યા કે અકસ્માત ન હોઈ શકે. પોલીસે હર્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ થર્ડ ડિગ્રી વગર જ મનોવૈજ્ઞાનિક ઢબે ઉલટતપાસ શરૂ કરી હતી અને સતત બે કલાકની પૂછપરછ બાદ હર્ષ તૂટી પડ્યો અને કબૂલાત કરી કે, હા, મેં જ નાનીને પતાવી દીધા છે. તેમ કહી હત્યાની કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
