સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
કતારગામ બ્રિજ પર એક ગંભીર અકસ્માત થતા થતા રહી ગયો
એએમએનએસ કંપનીની બસ અચાનક ડિવાઈડર ઉપર ચડી ગઈ
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કતારગામ બ્રિજ પર એક ગંભીર અકસ્માત થતા થતા રહી ગયો હતો. એએમએનએસ કંપનીની બસ ભયજનક વળાંક પર અચાનક ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. સદનસીબે સેફટી ગ્રીલના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ અને કોઈ જાનહાની થઈ નથી.
સુરતના કતારગામ બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. મળતી માહિતી અનુસાર એએમએનએસ કંપનીની બસ બ્રિજના જોખમી વળાંક પર નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. ઘટનામાં બસનો એક ટાયર હવામાં લટકી ગયો હતો, જેના કારણે થોડા સમય માટે સ્થળ પર ભયનો માહોલ સર્જાયો હતો. જોકે બ્રિજ પર લગાવવામાં આવેલી સેફટી ગ્રીલના કારણે બસ આગળ વધતા અટકી ગઈ અને મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કતારગામ બ્રિજનો વળાંક પહેલાથી જ ભયજનક ગણાય છે અને અગાઉ પણ અહીં અનેક અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે. હવે ફરી એકવાર આ ઘટના બાદ બ્રિજ પર વધારાની સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ અંગે માંગ ઉઠી રહી છે.
