અમરેલીમાં એક દિવસમાં 45 લોકોને શ્વાને બચકા ભર્યા
શહેરના અલગ-અલગ 9 વિસ્તારોમાં શ્વાને લોકોને ટાર્ગેટ કર્યા
સ્થાનિકોમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળયો
અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોએ આંતક મચાવ્યો છે. સોમવારે એક જ દિવસમાં 45 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. શાક લેવા ગયેલા વ્યક્તિથી લઈ દુકાને બેઠેલા શખસ સુધી બધાને ફાડી ખાધા હતા. શ્વાનના કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. જેના કારણે સ્થાનિકોમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળયો છે.
અમરેલી શહેરમાં શાકમાર્કેટ, ચાંદની ચોક અને માણેકપરા સહિતના વ્યસ્ત વિસ્તારોમાં આશરે 45 જેટલા લોકોને શ્વાન કરડ્યા હતા. જેમાં બાળકોથી લઈ તમામનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાના વાંકિયા ગામમાં એક વ્યક્તિ, બરવાળા બાવીસી વિસ્તારમાં એક વ્યક્તિ અને ધારી તાલુકામાં એક વ્યક્તિને પણ શ્વાન કરડવાની ઘટના બની હતી. અમરેલી સિવિલ હોસ્પિટલના ડૉ. મૌલિક લલીયાએ જણાવ્યું કે, ગતરોજ એક જ દિવસમાં અમરેલીમાં ડોગ બાઈટના 45 કેસ નોંધાયા હતા. જેમાં 10 બાળકો, 4 મહિલા તેમજ 31 પુરુષ દર્દીઓ હતા. આ તમામ દર્દીઓને ટીટી અને એઆરવીના ડોઝ આપ્યા હતા. તમામની સારવાર કરવામાં આવી હતી.
અમરેલીના તમામ વિસ્તારમાં શ્વાને આંતક મચાવ્યો હતો. લોકોને હાથ-પગ સહિતના શરીરના અંગોમાં શ્વાને બચકાં ભરી લીધા હતા. લોકો હાલ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. શ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યા હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ વિસ્તારમાં ડોગ બાઈટના ઘણા કેસો બને છે. મોર્નિગમાં વોકિંગમાં જતા લોકો તેમજ સ્કૂલે જતા બાળકો પાછળ શ્વાન દોટ લગાવે છે તેમજ ઘણાને બચકાં પણ ભરી લે છે. શ્વાનનો અવારનવાર ત્રાસ હોય નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે, આ બાબતે આગળની કાર્યવાહી કરે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
