અંબાજીથી ભાજપએ કર્યા મિશન 2027ની ચૂંટણીના શ્રીગણેશ.
અંબાજીમાં જગદીશ વિશ્વકર્માએ કર્યા દર્શન.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય બાદ મા અંબાના લીધા આશીર્વાદ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી ધજારોહણ કર્યું હતું. ત્યારબાદ પાલનપુરના ચડોતર ‘કમલમ’ ખાતે આયોજિત ‘બનાસ વિજયોત્સવ’માં હાજરી આપી વિજયી ઉમેદવારોનું સન્માન કર્યું હતું. ફટાકડા અને ઉત્સાહ સાથે ભાજપ કાર્યકરોએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ બનાસકાંઠા જિલ્લામાં વિજયોત્સવનો માહોલ જામ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા આજે ખાસ ‘બનાસ વિજયોત્સવ’ માં સહભાગી થવા માટે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખે પોતાના પ્રવાસની શરૂઆત આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે દર્શન અને પૂજા-અર્ચના સાથે કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષને મળેલી જંગી સફળતા બાદ જગદીશભાઇ વિશ્વકર્માએ મા અંબાના આશીર્વાદ લીધા હતા. તેમણે મંદિરના શિખર પર પૂરી શ્રદ્ધા સાથે ધજારોહણ કર્યું હતું અને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રદેશ પ્રમુખનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન બાદ જગદીશભાઈએ જણાવ્યું હતું કે, મા અંબાના આશીર્વાદથી રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી છે.
અંબાજીમાં દર્શન કર્યા બાદ વિજયોત્સવનો દોર પાલનપુર નજીક આવેલા ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પહોંચ્યો હતો. અહીં જિલ્લા ભાજપ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં મળેલી જંગી જીતને કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં તમામ વિજયી ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ચડોતર કમલમ ખાતે વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ ફટાકડા ફોડીને અને સૂત્રોચ્ચાર કરીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી. પ્રદેશ પ્રમુખે કાર્યકરોની મહેનતને બિરદાવતા કહ્યું કે આ જીત જનતાના ભરોસા અને કાર્યકરોની દિવસ-રાતની મહેનતનું પરિણામ છે. બનાસકાંઠામાં ભાજપના આ ભવ્ય વિજયોત્સવે આવનારી ચૂંટણીઓ માટે પણ કાર્યકરોમાં નવો જોમ પૂર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
