સુરતમાં 100 વર્ષ જૂની હોસ્પિટલ ગેરકાયદે દબાણોથી ઘેરાઈ
એમ્બ્યુલન્સ-પોલીસવાન ફસાયાના અનેક વીડિયો વાયરલ છતાં તંત્ર નિષ્ક્રિય
ચેરીટી ફંડ કમિટીના ટ્રસ્ટીએ રાજ્ય ગૃહમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી
શહેરીજનો માટે આશીર્વાદ રૂપ કોટ વિસ્તારના બાલાજી રોડ પર આવેલી સુરત જનરલ હોસ્પિટલના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે. ચૌટાપુલ સહીતના દબાણોને કારણે એમ્બ્યુલન્સ સહીતના વાહનો હોસ્પિટલ સુધી પહોચી શકતા નહોય હોસ્પિટલ બંધ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેને પગલે સુરત જનરલ હોસ્પિટલની સુરત ચેરીટી ફંડ કમિટીના પ્રમુખે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજુઆત કરી દબાણો દુર કરવાની માંગણી કરી છે. ગૃહમંત્રીનો આદેશ સ્થાનિક પોલીસ નકારી શકશે નહી એવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે.
સુરત શહેરના કોટ વિસ્તારના બાલાજી રોડ પર આવેલી સુરત જનરલ હોસ્પિટલ છેલ્લા ૧૦૦ વર્ષથી સુરત શહેરના લોકોને રાહત દરે સારવાર પુરી પાડી રહી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સમાન છે. લાખોની સંખ્યામાં દરદીઓને સારવાર પુરી પાડી હોસ્પિટલ નવું જીવન આપ્યું છે. ત્યારે ચૌટાપુલ સહીતના દબાણોને કારણે હોસ્પિટલ સુધી વાહનો તેમજ દરદીઓ સરળતાથી પહોચી શક્તા નહોય લોકોને સારવાર પુરી પાડતી સુરત જનરલ હોસ્પિટલ ખુદ બિમાર અવસ્થામાં મુકાઈ છે. એમ્બ્યુલન્સ, પોલીસ વાન દબાણોને કારણે ફસાઈ ગઈ હોવાના અનેક બનાવો ચૌટાપુલ વિસ્તારમાં જોવા મળ્યા છે.વિસ્તારમાં જોવા મળ્યા છે. સુરત જનરલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ફરીથી ધમધમતી થાય તે માટે સુરત જનરલ હોસ્પિટલની સુરત ચેરીટી ફંડ કમિટીના પ્રમુખ સુનીલ મોદીએ એક માસ પુર્વે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજુઆત કરી દબાણો દુર કરવાની માંગણી કરી છે. તેઓએ રજુઆત કરતા કહ્યું હતું કે, ૧૦૦ વર્ષ જુની હોસ્પિટલ ફેરિયાઓ અને દુકાનદારો દ્વારા, રોડ ઉપર કરવામાં આવતા ગેરકાયદે અધિક્રમણ-એન્ક્રોચમેન્ટ કારણે બંધ થવાને આરે આવી ગઈ છે. આ બાબતમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગૃહમંત્રીના આદેશથી હોસ્પિટલની આસપાસના દબાણો દુર થઇ શકે છે તેવી આશા પણ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે. નોધનિય છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ફરીયાદના આધારે પોલીસ બંદોબસ્ત સાથે ચૌટાપુલ વિસ્તારના દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. દબાણ દુર કરતા સમયે કેટલાક માથાભારે તત્વો સાથે મનપાની માથાકુંટ પણ થાય છે. લોકોના વિરોધ વચ્ચે મનપા દ્વારા દબાણો દુર કરી દેવામાં આવે છે. પરંતુ ગણતરીના કલાકોમાં સ્થિતિ ફરી યથાવત જોવા મળે છે. જેને પગલે કાયમી ધોરણે ચૌટાપુલ વિસ્તારના દબાણો દુર કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.