સુરત પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો
₹1.82 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો
સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન-01 વિસ્તારમાં ચોરી, લૂંટ, મોબાઈલ સ્નેચિંગ સહિતના ગુનાઓમાં રિકવર કરાયેલ કુલ 1 કરોડ 82 લાખ 98 હજાર 816 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે.
સુરતના આઈમાતા રોડ સ્થિત મહેશ્વરી ભવન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઝોન-01 હેઠળના પુણા, કાપોદ્રા, વરાછા, અશ્વિનીકુમાર, સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મિલકત સંબંધી ગુનાઓમાં રિકવર કરાયેલ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ 112 મોબાઈલ ફોન, 57 લાખ 23 હજાર રોકડા, તેમજ 39 લાખ 43 હજારના સોના-ચાંદીના દાગીના મૂળ માલિકોને પરત કર્યા હતાં. આ ઉપરાંત 13 મોટરસાયકલ અને મોપેડ, તેમજ 80 કેરેટ રફ અને તૈયાર નેચરલ હીરા પણ પરત કરવામાં આવ્યા હતાં. સાથે જ સાયબર ફ્રોડના કેસમાં ફ્રીઝ કરાયેલા અરજદારોના 62 લાખ 73 હજાર 680 રૂપિયા પણ પરત કરવામાં આવ્યા હતાં. આમ ઝોન-01 પોલીસે કુલ 1 કરોડ 82 લાખ 98 હજાર 816 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યો હતો.
