સુરતના ભેસ્તાન વિસ્તારમાં જૂની અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા
તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
ભેસ્તાનમાં હત્યાની ઘટનાથી ચકચાર, કાયદો-વ્યવસ્થા સામે સવાલો
સુરતમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા હોય તેમ સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી જૂની અદાવતની તકરારમાં યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાત્કી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી.
સુરતના ભેસ્તાનના ગોલ્ડન આવાસમાં રાત્રે આશરે 11:40 વાગ્યાના અરસામાં હત્યાની ગંભીર ઘટના બની હતી. પાંચથી છ દિવસ અગાઉ પરિવારના નાના બાળક સાથે થયેલી બોલાચાલી અને માથાકૂટની અદાવત રાખીને સલમાન સૈયદ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે અજાણ્યા તેમજ ઓળખીતા શખ્સોના ટોળાએ સલમાનને ઘેરી લીધો હતો અને તલવાર તથા ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે પીઠ, આગળના ભાગ અને હાથ પર ઉપરાઉપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સલમાનનું મોત નીપજ્યું હતું. મૃતક ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
