જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણમાં પલટો આવતા વાદળ ફાટ્યું
પૂર અને ભૂસ્ખલનના લીધે 3 લોકોનાં મોત, 100 લોકોનું રેસ્ક્યૂ કરાયું
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થયો
ધર્મકુંડ પોલીસે લગભગ 90-100 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા.
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. રવિવારે સવારે રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં વરસાદ પછી વાદળ ફાટવાથી ત્રણ લોકોનાં મોત થયા હતા. પોલીસે લગભગ 100 લોકોને બચાવ્યા.
સૂત્રોના જણાવ્યું મુજબ જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું. પર્વત પરથી કાટમાળ ગામ તરફ આવ્યો, જે ઘણા ઘરમાં જતો રહ્યો છે, હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.
બીજી તરફ, રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. આ કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. સેંકડો વાહનો ફસાયેલા છે. કિશ્તવાર-પદ્દર રસ્તો પણ બંધ છે. અહીં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હવામાન સાફ થયા પછી જ અધિકારીઓએ હાઇવે પર મુસાફરી કરવાની અપીલ કરી છે. રામબન જિલ્લામાં ચેનાબ નદી પાસે આવેલા ધર્મકુંડ ગામમાં ભૂસ્ખલન થયું છે. 10 ઘર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા, 25-30 ઘરને પણ નુકસાન થયું. ધર્મકુંડ પોલીસે લગભગ 90-100 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા.
ભૂસ્ખલનના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં પર્વત પરથી કાટમાળ પડતો જોઈ શકાય છે. કેટલાક વિસ્તારોમાં, પર્વતનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયો છે. એક વીડિયોમાં, ત્રણ-ચાર ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે સંપૂર્ણપણે દટાયેલા જોવા મળે છે. આ ઉપરાંત, હોટલ અને ઘરો પણ કાટમાળથી પ્રભાવિત થયા હોય તેવું લાગે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી