ભાવનગર પાલીતાણામાં જૈન બાલાશ્રમ વિવાદમાં
સગીર વિદ્યાર્થી સાથે ગૃહપતિએ આચર્યું દુષ્કૃત્ય
ગૃહપતિ હસમુખ શાહ પર છેલ્લા 3 વર્ષથી શોષણનો આરોપ
જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણામાં આવેલ એક પ્રતિષ્ઠિત જૈન બાલાશ્રમ વિવાદોના વંટોળમાં ફસાયું છે. આશ્રમના ગૃહપતિ દ્વારા એક સગીર વિદ્યાર્થી સાથે છેલ્લા ત્રણ વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ વિદ્યાર્થીના પિતા દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે જૈન સમાજ અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણામાં આશ્રમના ગૃહપતિ દ્વારા એક સગીર વિદ્યાર્થી સાથે છેલ્લા ત્રણ વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે સગીરના પિતાના જણાવ્યા મુજબ, બાલાશ્રમના ગૃહપતિ હસમુખ શાહ છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીને ડરાવી-ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. સગીરે જ્યારે આ આપવીતી પોતાના પરિવારને જણાવી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પીડિતના પિતાનો આક્ષેપ છે કે આશ્રમના ટ્રસ્ટી શાંતિ મહેતા આ ગંભીર મામલાને દબાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને સમાધાન માટે દબાણ કરી રહ્યા છે.
આ મામલે વધુ આઘાતજનક બાબત એ છે કે, પીડિત પરિવાર જ્યારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે પોલીસે ફરિયાદ લેવાનો ઈન્કાર કર્યો હોવાનો આક્ષેપ છે. પોલીસના મૌન અને નિષ્ક્રિયતાથી કંટાળીને આખરે સગીરના પિતાએ ભાવનગર જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને ન્યાયની ગુહાર લગાવી છે. જિલ્લા પોલીસ વડાને કરવામાં આવેલી રજૂઆતમાં આરોપી ગૃહપતિ સામે કડક કાર્યવાહી કરવાની અને જે ટ્રસ્ટીઓ આ ગુનાને છુપાવવામાં મદદ કરી રહ્યા છે તેમની સામે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, આ સંવેદનશીલ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલની બેઠકમાં પણ ચર્ચા થવાની શક્યતા છે. હાલમાં પાલીતાણા પોલીસ આ મુદ્દે મૌન સેવી રહી છે, પરંતુ SPની દરમિયાનગીરી બાદ હવે ફરિયાદ દાખલ થવાની પૂરેપૂરી સંભાવના છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
