કોંગ્રેસ સેવાદર ના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધી
મનરેગા ના મુખ્ય ઉદ્દેશની ફરીથી લાગુ કરવા માંગ કરાઈ
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી એક્ટ-2005ના નામ સાથે શ્રમિકોના રોજગાર પર તરાપ મારતી યોજનાનો દેશભરમાં વિરોધ યોજવાના નિર્ણયને પગલે આજે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય ચેરમેન સુરતમાં પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા હતા. રોજગાર ગેરંટીને બાબુઓની મનસ્વીગીરી પર સોપી દેવાનો આરોપ મુકતા ચેરમેને મનરેગાના મુખ્ય ઉદ્દેશને ફરીથી લાગુ કરવા માગ કરી હતી.
સુરતના સર્કિટ હાઉસમાં આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધતા કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન જ દેશને જનતાને અનેક અધિકાર આપનાર સ્વ. વડાપ્રધાન ડો. મનમોહનસિંહે અનેક યોજનાઓ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ક્રાંતિકારી પહેલ કરી હતી જેના ભાગરૂપે છેવાડાના માનવી સુધી રોજગાર પહોંચ્યું હતું. મનરેગા યોજના હેઠળ પંચાયતોને અધિકારી આપીને છેવાડાના માનવીને શસક્ત બનાવવાનો પ્રયોગ સફળ રહ્યો હતો અને દેશમાં ખુશહાલીનો નવો યુગ શરૂ થયો હતો પરંતુ વર્ષ 2014માં દિશાવિહિન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારથી દેશની જનતા કોઈના કોઈ મુદ્દે કતારમાં લાગતી રહી છે અને 11 વર્ષ પછીયે કતારનો સીલસીલો યથાવત રહ્યો છે. તાજેતરમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પુજ્ય મહાત્મા ગાંધીનું નામ દૂર કરીને મનરેગા યોજનાને વીબી જી રામજી કરીને શ્રમિકોના રોજગાર પર તરાપ મારવાનું કામ કર્યું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે મનરેગા યોજનામાં રોજગાર ગેરંટી છીનવીને પંચાયતો પાસેથી પણ અધિકાર છીનવીને લોકતંત્ર પર ઘા ઝિંકવાનું કામ કર્યું છે. હવે સરકારી બાબુઓ નક્કી કરશે કે કોને ક્યારે કામ કે રોજગાર આપવાનો છે. કેન્દ્ર સરકારે લોકતંત્ર પર ઘા કર્યો છે. આ સાથે જ રાજ્ય સરકારો પર 40 ટકા બોજો નાંખીને પોતાનું ભારણ ઘટાડવાનું કામ કર્યું છે. આજની પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના સિનિયર પ્રવક્તા નૈષધ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિપુલ ઉધનાવાલા તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સહિત કોંગ્રેસના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
