માંડવીના દેવગઢ નજીક વરેહ નદીમાંથી 42 વર્ષીયનો મૃતદેહ મળ્યો
ભારે વરસાદ વચ્ચે મચ્છી પકડવા ગયેલા મુકેશભાઈ નદીમાં ડૂબ્યા
ઘટનાની જાણ થતાં માંડવી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી
ભારે શોધખોળ બાદ ફાયર ટીમે મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો
મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી માંડવી પોલીસે હાથ ધરી
માંડવી તાલુકાના દેવગઢ ગામ નજીક કોલખડી ગામની સીમામાંથી પસાર થતી વરેહ નદીમાં ડૂબેલા 42 વર્ષીય મુકેશભાઈ ગવજીભાઈ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ભારે વરસાદના કારણે વરેહ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. આ દરમિયાન મુકેશભાઈ મચ્છી પકડવા ગયા હતા, જ્યાં અગમ્ય કારણોસર તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ દ્વારા માંડવી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં માંડવી ફાયર ટીમના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ બાદ મુકેશભાઈનો મૃતદેહ મળી આવતા ફાયર ટીમે તેને પાણીમાંથી બહાર કાઢી માંડવી પોલીસને સોંપ્યો હતો. આ કામગીરીમાં ફાયર ટીમના રાજેશભાઈ જોધપુરી, સોહિલભાઈ શેખ, જયેશભાઈ નાયકા, શૈલેષભાઈ ગામીત અને તેજસભાઈ ચૌધરી સહિતના જવાનોએ મહત્વની કામગીરી કરી હતી…
