સુરત પાંડેસરામાં બોગસ તબીબો સામે કાર્યવાહી
એસઓજી અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહી
માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 8 ઝડપાયા
સુરતના પાંડેસરામાં બોગસ તબીબો સામે એસઓજી અને જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા 8 બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતાં.
સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ તબીબો વિરુદ્ધ સુરત એસઓજી અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડ્યા હતા. બાતમીની ખરાઈ કરવા માટે પહેલાં ક્લિનિકોમાં ડમી દર્દીઓને મોકલવામાં આવ્યા હતા. હકીકત સામે આવ્યા બાદ ત્રણ ટીમોએ એકસાથે આઠ સ્થળે કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ધોરણ-12 પાસ, બી.એસસીનો અભ્યાસ કરેલા તેમજ અગાઉ કમ્પાઉન્ડર અને ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલા લોકોનો હોવાનુ સામે આવ્યુ હતું. આરોપીઓ બે વર્ષથી લઈને દસ વર્ષ સુધી માન્ય મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા હોવાની કબુલાત કરી હતી. દરોડા દરમિયાન વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત 98,825નો મુદ્દામાલ કબજે કરાયો હતો. તો ઝડપાયેલા નકલી ડોક્ટરોમાં પાર્થ દેવનાથ દ્વારા અગાઉ 14 વર્ષના કિશોરની સારવાર કરવામાં આવી હતી. સારવારમાં બેદરકારીના કારણે કિશોરનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ ચાલી રહી છે. તમામ આઠ આરોપીઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી.
