ગુજરાતમાં આંતકી હુમલાને લઈ શોક કે પછી ભાજપનો દેખાડો
ભાજપના મહિલા મોરચાએ પૂર્વ સીએમના પત્નીનો બર્થ ડે ઉજવ્યો,
દર્શિતા શાહે વિવાદથી કિનારો કર્યો
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેકના મનમાં બદલાની ભાવના જોવા મળી રહી છે. દેશભરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. તેવામાં રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 1ના મહિલા મોરચા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીના જન્મદિવસ નિમિતે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
દેશભરમાં શોકના માહોલ વચ્ચે રાજકોટ શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા અંજલીબેન રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ ખુલાસો કરતા રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે, અંજલિબેન રૂપાણી અમારા વડીલ છે. મહિલા મોરચાના સિનિયર આગેવાન છે. મેં બપોરના સમયે તેમને ફોનથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ તેઓએ રાજકોટ ઘરે હોવાનું કહેતા હું રૂબરૂ શુભેચ્છા પાઠવવા ગઈ હતી. ત્યારે ત્યાં અમારી વિધાનસભાના વોર્ડ નંબર 1ના મહિલા મોરચાના બહેનો ઉપસ્થિત હતાં. તેઓ દ્વારા કેક કટિંગ કરી સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. તે લોકો દ્વારા મને પણ સાથે જોડાવાનું કહેતા હું સાથે જોડાઈ હતી. મને ખબર ન હતી કે, અહીંયા આ રીતે ઉજવણી થઇ રહી છે. હું પહોંચી ત્યારે ત્યાં અગાઉથી જ બધી બહેનો હાજર હતા.
આ કેક કટિંગ સાથે ઉજવણીમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ પણ જોવા મળ્યા હતા. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ દ્વારા ઉલ્લેખ કરાયો છે કે, મોતનો મલાજો જાળવવો જોઈએ. તો દર્શિતાબેન શાહ દ્વારા તેઓ આ કાર્યક્રમથી અજાણ હતા અને શુભેચ્છા પાઠવવા ગયા ત્યારે ત્યાં બહેનો હાજર હતા, તેવું કહી લૂલો બચાવ કર્યો હતો, બીજી તરફ આ મામલે રાજકારણ ગરમાયુ છે અને વિપક્ષ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિધાનસભાના વિપક્ષનેતા અમિત ચાવડાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પહેલગામમાં આંતકવાદી હુમલા છતાં ભાજપના મહિલા મોરચા બર્થ-ડે ઉજવણી કરી. આ વાત મને મીડિયા માધ્યમથી જાણવા મળી છે. કોઈ પણ રાજકીય પક્ષના લોકો હોય તેમને મોતનો મલાજો જાળવવો જોઈએ. આખો દેશ શોકાતુર હોઈ તો આવી ઉજવણી રાજકીય પાર્ટીના આગેવાનોએ તો ન જ કરવી જોઈએ. કાર્યકર્તા કદાચ ભૂલ કરે તો માન્ય ગણી શકાય, પરંતુ ધારાસભ્ય કક્ષાના આગેવાને આવી ભૂલ ન કરવી જોઈએ.
કરુણ ઘટના બાદ અંજલિ રૂપાણીએ પણ મહિલા મોરચાને ના ન પાડી અને હસતા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કરી ફોટો-વીડિયો કરાવ્યા હતા. આ સાથે સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થ ડે સેલિબ્રેશનના ફોટો-વીડિયો મૂકવામાં આવ્યા હતા. મહિલા મોરચાના કાર્યકરોએ જાણે બહાદુરીનું કામ કર્યું હોય એમ પોતાના સ્ટેટસમાં પણ ઉજવણીના ફોટો પણ મૂક્યા હતા. ગત રાત્રિના રાજકોટ શહેર ભાજપના યુવા મોરચા દ્વારા કિસાનપરા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન દિવંગત આત્માઓને શહેર ભાજપના અને યુવા મોરચાના નેતાઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી ભાવાંજલિ પાઠવી હતી. આ સાથે જ અહીં પાકિસ્તાન અને આતંકવાદનાં પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપનાં મહિલા મોરચાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્નીના જન્મદિવસની ઉજવણી કરી હતી. મહિલા મોરચાનાં આ કરતૂતથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી