પાકિસ્તાને મોદી સામે ઝેર ઓક્યું
સિંધુ દરિયો અમારો છે, તેમાં ક્યાં તો અમારું પાણી વહેશે અથવા તમારું લોહી
સિંધુ જળ કરાર અટકાવવા બદલ બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન પીએમ શહબાજ શરીફે કહ્યું છે કે તેઓ દરેક તપાસ માટે તૈયાર છે. શરીફે કહ્યું કે પાકિસ્તાનને બદનામ કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન તેની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે તૈયાર છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું છે. શુક્રવારે એક જાહેરસભાને સંબોધતાં તેમણે કહ્યું કે કાં તો આપણું પાણી સિંધુ નદીમાં વહેશે અથવા તેમનું લોહી વહેશે. સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે. ભુટ્ટોએ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ એક જ વારમાં તોડી નાખવી શક્ય નથી. અમને વિશ્વાસ નથી આવતો. અમારી જનતા આ સ્વીકારશે નહીં. હજારો વર્ષોથી અમે જ આ નદીના વારસદાર છીએ. ભારતની વસતિ વધુ હોવાથી તેઓ પાણી કોની માલિકીનું છે એ નક્કી કરી શકતા નથી. પાકિસ્તાનના લોકો બહાદુર છે, અમે બહાદુરીથી લડીશું. સરહદો પર અમારી સેના દરેક હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે.
પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં પરેડને સંબોધતા વડાપ્રધાન શરીફે કહ્યું કે ભૂતકાળમાં પણ પાકિસ્તાન પર આવા હુમલાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ. એક જવાબદાર દેશ તરીકે, પાકિસ્તાન કોઈપણ નિષ્પક્ષ અને પારદર્શક તપાસમાં ભાગ લેવા તૈયાર છે. શરીફે કહ્યું કે ભારત દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે. કોઈપણ વિશ્વસનીય તપાસ અને પુરાવા વિના, તે પાકિસ્તાન સામે ખોટા આરોપો લગાવીને દેશને બદનામ કરી રહ્યો છે. પીએમ શરીફે કહ્યું કે જો સિંધુ નદીનું પાણી ઘટાડવાનો કે વાળવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે. શરીફે કહ્યું કે પાકિસ્તાન માટે પાણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ અમારા 24 કરોડ લોકોના જીવનનો પ્રશ્ન છે. અમે તેને કોઈપણ કિંમતે સુરક્ષિત રાખીશું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી