સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન
ટેક્સટાઇલ સેક્ટરને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા જાહેરાતો
વધુ 10 થી 15 હજાર નવા એરજેટ મશીનો શરૂ થવાની શક્યતા
સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા વિવર્સ પરામર્શ સંમેલનમાં ટેક્સટાઇલ સેક્ટરને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.
સુરતના સણિયા હેમાદ ખાતે યોજાયેલા વિવર્સ પરામર્શ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એરજેટ લૂમ્સ સુરતમાં કાર્યરત હશે. હાલ સુરતમાં અંદાજે 30 હજાર એરજેટ લૂમ્સ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 10 થી 15 હજાર નવા એરજેટ મશીનો શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે ઉદ્યોગકારોને પર્યાવરણને અનુકૂળ અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન પ્રોડક્ટ્સ પર ભાર મૂકવાની અપીલ કરી હતી. સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગને તમામ પ્રકારનું પ્રોત્સાહન આપશે તેમજ એક્સપોર્ટ ફેસિલિટેશન અને ક્લસ્ટર ડેવલપમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ટેક્સટાઇલ પોલિસી હેઠળ માત્ર એક વર્ષમાં જ ગુજરાતના વેપારીઓને 8 હજાર કરોડ રૂપિયાનું પ્રોત્સાહન ચૂકવવામાં આવ્યું છે. સાથે જ એમ એસએમઈ હેઠળ ઇન્સેન્ટિવ મંજૂરીની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે. તેમણે પીએમ મિત્રા પાર્ક અને ગાર્મેન્ટિંગ ક્ષેત્રના વિકાસનો ઉલ્લેખ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત દેશનું સૌથી મોટું ગાર્મેન્ટિંગ હબ બની શકે છે. આ સંમેલનમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારો, વિવર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
