નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી
નવી સિવિલમાં શ્રી ગણેશજીની સ્થાપના, પૂજા-અર્ચના અને આરતી
સિવિલ હોસ્પિટલમાં વિઘ્નહર્તાની સ્થાપના, ભક્તિમય માહોલ
નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ કચેરી ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના અને આરતી યોજાઈ હતી.
સુરત નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ કચેરી ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. ગણપતિ દાદાની પૂજા-અર્ચના અને આરતીમાં નર્સિંગ સ્ટાફ સહિત હોસ્પિટલના અગ્રણીઓ જોડાયા હતા. હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓ ઝડપથી સાજા થાય અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની ઉત્તમ સેવા થઈ શકે તે માટે ગણેશજીના ચરણે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ સમાજના સૌ લોકોનું કલ્યાણ થાય, પ્રજા તંદુરસ્ત રહે અને દેશ સુખી-સંપન્ન બને તેવી પણ કામના કરવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે તમામ ધર્મના નર્સિંગ કર્મચારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેના થકી નવી સિવિલ હોસ્પિટલમાં સર્વધર્મ સમભાવ અને એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. ગણેશ પૂજા અને આરતીમાં તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામા અને આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક સહિત નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નિરજા પટેલ, ભાવિની પટેલ, નર્સિંગ એસોસિએશનની ટીમ, સ્ટાફ હેડ નર્સ અને આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ અને આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેન નાયર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી ઇકબાલ કડીવાલા સહિત નર્સિંગ સ્ટાફના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
