સુરતના પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ,
100 વિદ્યાર્થીઓની તબિયત લથડી
ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તંત્ર દોડતું થયું, તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર
પી.પી. સવાણી હોસ્ટેલની ઘટનાને પગલે રાજ્ય સરકારની લાલ આંખ
સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. હોસ્ટેલના અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતા તંત્ર દોડતું થયું છે. હાલ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે રાજ્ય સરકારે હવે સમગ્ર ગુજરાતની હોસ્ટેલો સામે લાલ આંખ કરી છે.
સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા ચકચાર મચી છે. હોસ્ટેલમાં રહેતા અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓની અચાનક તબિયત લથડી હતી. વિદ્યાર્થીઓની તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે હાલ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે હોસ્ટેલના રસોડાની તપાસ હાથ ધરી હતી. સાથે જ ખોરાક અને પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. હવે આ સેમ્પલના રિપોર્ટ બાદ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ સામે આવી શકે છે. આ ઘટનાને પગલે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતની હોસ્ટેલો સામે લાલ આંખ કરી છે. આવતા અઠવાડિયાથી ગુજરાતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હોસ્ટેલોમાં સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. હોસ્ટેલોમાં ખોરાકની ગુણવત્તા, પાણીની સ્વચ્છતા અને આરોગ્ય વિભાગની એસઓપીનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. એસઓપીનું પાલન ન કરનાર હોસ્ટેલ સંચાલકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની પણ સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જે અંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ માહિતી આપી હતી.
