સુરતમાં હત્યા સહિતની ઘટનાઓમાં વધારો
પુણા વિસ્તારમાં લેક ગાર્ડનના ગેટ પાસે યુવાનની હત્યા
પ્રેમ પ્રકરણમાં કરણ વાઘેલાની હત્યા કરાઈ હોવાની ચર્ચા
સુરતમાં હત્યા સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પુણા વિસ્તારમાં લેક ગાર્ડનના ગેટ પાસે યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં રોજેરોજ હત્યાના બનાવો વધતા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સીધા સવાલો ઉભા થઈ રહ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં સુરતમાં 50થી વધુ હત્યાઓ થતા શહેર ક્રાઈમ સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી. ત્યારે ફરી એક હત્યાની ઘટના પુણા વિસ્તારમાં બની હતી. સુરતના પુણા પોલીસ મથકની હદમાં પુણા લેક ગાર્ડનના ગેટ પાસે જ યુવાન કરણ વિક્રમ વાઘેલા ની અજાણ્યા ઈસમોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાત્કી હત્યા કરી નાંખી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. તો પ્રેમ પ્રકરણમાં કરણ વાઘેલાની હત્યા કરાઈ હોવાની ચર્ચા જોવા મળી હતી. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી તથા હ્યુમન સોર્સીસની મદદથી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
