ભાવનગરમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત
રૂ. ૨૧.૨૨ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
ભાવનગર શહેરમાં નાગરિકોને વધુ સુવિધાસભર શહેરી માળખું ઉપલબ્ધ કરાવવાના હેતુસર એસજેએમએમએસવીવાય,અમૃત ૨.૦ તથા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારની ગ્રાન્ટ હેઠળ રૂ. ૨૧.૨૨ કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ જનસુખાકારી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે એક જ દિવસે કરવામાં આવ્યું હતું.
જનસુખાકારી વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમના પરિણામે શહેરમાં પાયાની સુવિધાઓ સતત વિસ્તરી રહી છે અને વિકાસની ગતિ વધુ વેગવાન બની છે. તેમણે કહ્યું કે, કુંભારવાડા વિસ્તારમાં ૨૦ લાખ લિટર ક્ષમતાનો સંપ અને ૧૫ લાખ લિટર ક્ષમતાની ઊંચી પાણીની ટાંકી કાર્યરત થતાં વિસ્તારના નાગરિકોને નિયમિત અને વધુ સુવ્યવસ્થિત રીતે પીવાનું પાણી મળી રહ્યું છે. આ સુવિધાથી વિસ્તારની પાણી પુરવઠા વ્યવસ્થા વધુ મજબૂત અને કાર્યક્ષમ બની છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં પાણી પુરવઠા, ડ્રેનેજ અને માર્ગ વ્યવસ્થાના સશક્તિકરણ માટે વિવિધ માળખાકીય વિકાસકામો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. વાડીલા નાળાથી દસ નાળા સુધી આશરે રૂ. ૨૯ કરોડના ખર્ચે માર્ગ નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે, જ્યારે આગામી તબક્કામાં આશરે રૂ. ૮૦ કરોડના ખર્ચે આર.સી.સી. માર્ગોના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્કના અપગ્રેડેશનના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે.
