સુરતના નાસિર નગર માં ડિમોલેશનથી મોટો વિવાદ
મનપા કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે ન તો કોઈ નોટિસ આપવામાં આવી હતી
ડિમોલેશન દરમિયાન એસએમસીની કોઈ સત્તાવાર ટીમ નહીં
સુરતના નાસિર નગર વિસ્તારમાં થયેલા ડિમોલેશનને લઈને હવે મોટો વિવાદ ઉભો થયો છે. ડિમોલેશન દરમિયાન એસએમસીની કોઈ સત્તાવાર ટીમ સામેલ ન હોવાના દાવાથી અનેક સવાલો ઊભા થયા છે. મનપા કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે ન તો કોઈ નોટિસ આપવામાં આવી હતી અને ન જ ડિમોલેશન માટે કોઈ ટીમ મોકલવામાં આવી હતી. જેને લઈ કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે.
સુરતના નાસિર નગર વિસ્તારમાં થયેલી ડિમોલેશન કાર્યવાહી હવે ગંભીર વિવાદનું કારણ બની છે. સ્થાનિકોના દાવા મુજબ કેટલાક લોકો એસએમસી જેવા યુનિફોર્મમાં આવ્યા હતા અને વિસ્તારમાં તોડફોડની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મનપા દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી નહોતી અને ડિમોલેશન માટે કોઈ સત્તાવાર ટીમ પણ મોકલવામાં આવી નહોતી. આ નિવેદન બાદ અનેક સવાલો ઉભા થયા છે. જો એસએમસીની ટીમ નહોતી તો પછી ડિમોલેશન કોણે કર્યું? એસએમસી જેવા યુનિફોર્મમાં દેખાયેલા લોકોની ઓળખ શું છે? અને સાદા ડ્રેસમાં હથિયારો સાથે આવેલા લોકો કઈ સત્તાના આધારે કાર્યવાહી કરી રહ્યા હતા?
સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે એસએમસીના નામ અને યુનિફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી કાયદેસર હતી કે ગેરકાયદેસર તે અંગે પણ હવે ચર્ચા તેજ બની છે. નાસિર નગરના લોકોએ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉઠાવી છે અને નકલી તંત્ર દ્વારા કાર્યવાહી થઈ હોવાના દાવાની સત્યતા બહાર લાવવાની માંગ કરી છે.
