સુરતના જહાંગીરપુમાં સુડા આવાસમાં ચિંતાજનક સ્થિતિ
માત્ર બે વર્ષ પહેલા લોકોને ફાળવાયેલા આવાસ હવે જર્જરીત
રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં રહેતા લોકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે વર્ષ પહેલા લોકોને ફાળવાયેલા આવાસ હવે જર્જરીત બનતા રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં રહેતા હજારો લોકો હાલ જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે. વર્ષ 2024માં લોકો અહીં રહેવા માટે આવ્યા હતા, પરંતુ માત્ર એક વર્ષમાં જ આવાસની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. વર્ષ 2025થી જ બિલ્ડિંગના ટાઇલ્સ અને દીવાલોના પોપડા ઊખડવા લાગ્યા હોવાનું રહેવાસીઓ જણાવી રહ્યા છે. આ સમગ્ર આવાસ વિસ્તારમાં કુલ 24 બિલ્ડિંગ આવેલ છે, જ્યાં 10 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા એક વર્ષથી તેઓ ડરના માહોલમાં જીવન પસાર કરી રહ્યા છે. બિલ્ડિંગની હાલત દિવસેને દિવસે ખરાબ બનતી જતા કોઈ મોટી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે. રહેવાસીઓએ અનેક વખત સુડા ભવનમાં રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે.
આજદિન સુધી કોઈ યોગ્ય નિર્ણય કે મરામત કામગીરી હાથ ધરાઈ નથી. જેને લઈને આજે ફરી મોટી સંખ્યામાં લોકો સુડા ભવન પહોંચ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
