અમરેલી બાબરકોટમાં સિંહોના ભોગે ખાનગી કંપનીને ફાયદો કરાવવા તજવીજ.
ખાનગી કંપનીને માઈનિંગ માટે જમીન પધરાવી દેવા રેકોર્ડ પર જૂઠાણું.
ડીસીએફ વિકાસ યાદવે કેન્દ્ર સરકારના એફસી ફોર્મ-Aમાં ખોટો રિપોર્ટ રજૂ કર્યો.
એક તરફ ગુજરાત સરકાર એશિયાટિક લાયન્સ (એશિયાઈ સિંહો)ના સંવર્ધન અને જતન માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.
ગુજરાતમાં વર્ષોથી સિંહોના કાયમી નિવાસસ્થાન ગણાતી 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન એક ખાનગી કંપનીને માઇનિંગ (ખનન) માટે સોંપી દેવાની વન વિભાગની આંતરિક હિલચાલને પગલે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક જનતામાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. જાફરાબાદના બાબરકોટ પાસે આવેલા ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના અનામત જંગલની કિંમતી જમીન પર એક ખાનગી કંપની છેલ્લા 12 વર્ષથી ડોળો માંડીને બેઠી છે. અગાઉ 2016 થી અત્યારસુધીના અનેક વન અધિકારીઓએ સિંહોની સુરક્ષાને ધ્યાને રાખી આ માઇનિંગ પ્રોજેક્ટને નકારી કાઢ્યો હતો. એક તરફ ‘SAVE LION’ના નારે પ્રચાર અને બીજી તરફ સિંહોના ઘરમાં જ માઇનિંગની તૈયારી – સરકારની આ બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ મુદ્દે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જૂન મોઢવાડીયાએ સ્પષ્ટતા કરી છે કે, અમારા ધ્યાને આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. અમે કોઈપણ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની મંજૂરી આપતા નથી અને આપવાના પણ નથી.
જોકે, હાલમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટ માટે ‘હકારાત્મક અભિપ્રાય’ આપી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વન વિભાગના જ કર્મચારીઓમાં ચાલતી ચર્ચા મુજબ, આ જમીન હવે ટૂંક સમયમાં જ માઇનિંગ માટે સોંપી દેવામાં આવશે. સિંહપ્રેમીએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આ રિઝર્વ ફોરેસ્ટની જગ્યા ખાનગી કંપનીને આપવી એ સિંહોનું નિકંદન કાઢવા સમાન છે. દરિયાઈ પટ્ટીના સિંહોની પ્રકૃતિ અલગ હોય છે. જો તેમનું આ છેલ્લું સુરક્ષિત રહેઠાણ છીનવાઈ જશે, તો સિંહ અને માનવ વચ્ચેના સંઘર્ષમાં ભયજનક વધારો થશે. આ ઉપરાંત માઇનિંગને કારણે ખેતીલાયક જમીનમાં ખારાશ વધવાની પણ ભીતિ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
