ભારત-યુકે FTAથી સુરતના જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત
15 જુલાઈથી યુકેમાં જ્વેલરી નિકાસ પર 4% ડ્યુટી થશે શૂન્ય
સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને મળશે સીધો ફાયદો
વેપાર, રોકાણ અને રોજગારીમાં વધારો થવાની શક્યતા
ડાયમંડ સીટી સુરત માટે ખુશીના સમાચાર સામે આવ્યા હોય તેમ ભારત અને યુકે વચ્ચે 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત મળી છે. યુકેમાં જ્વેલરીની નિકાસ પર લાગતી 4 ટકા ડ્યુટી શૂન્ય થતાં સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને સીધો ફાયદો થશે. ઉદ્યોગકારોના મતે આ કરારથી વેપાર, રોકાણ અને રોજગારીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. 15 જુલાઈથી અમલમાં આવનારા આ કરાર બાદ યુકેમાં જ્વેલરી એક્સપોર્ટ પરની 4 ટકા ડ્યુટી સંપૂર્ણપણે દૂર થઈ જશે. જેના કારણે સુરતના ઉત્પાદકો અને નિકાસકારોને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક ભાવ સાથે વેપાર કરવાની તક મળશે. ઉદ્યોગકારોનું માનવું છે કે યુકેના વિશાળ બજારમાં સીધી પહોંચ મળવાથી નિકાસમાં વધારો થશે અને નવા વેપારી સંબંધો પણ વિકસશે. ખાસ કરીને સુરતના અંદાજે 500 જેટલા જ્વેલરી યુનિટ્સને તેનો સીધો લાભ મળશે. આ ઉપરાંત રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે અબજો રૂપિયાના વધારાના વેપારની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હીરાનગરી સુરત માટે આ કરાર વૈશ્વિક બજારમાં નવી ચમક અને નવી દિશા લઈને આવનાર માનવામાં આવી રહ્યો છે.
