સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા યુવાનનું શંકાસ્પદ મોત
ઝેરી તાડી પિવાથી અથવા તો હત્યા કરાઈ હોવાની આશંકા
ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનો દ્વારા ઝેરી તાડી પિવાથી અથવા તો હત્યા કરાઈ હોવાની આશંકા સાથે સવાલો કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
સુરતના અમરોલીના કોસાડ આવાસના એચ-1 બિલ્ડિંગમાં રહેતા ઇબ્રાહીમ ઈસુફ શાહ નામના યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. પરિવારના જણાવ્યા મુજબ ઈબ્રાહીમ તેની પત્નીને ઘરે મૂકીને બહાર નીકળ્યો હતો અને માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં જ તેની લાશ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. તો મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં સૃષ્ટિ નામની વ્યક્તિ પાસે આર્યન નામનો ઈસમ ખુલ્લેઆમ તાડીનું વેચાણ કરે છે. પરિવારે શંકા વ્યક્ત કરી છે કે ઇબ્રાહીમનું મોત ઝેરી તાડી પીવાના કારણે થયું છે અથવા તો તેની હત્યા કરવામાં આવી છે. તો ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક કલાક પહેલા જે યુવક સાજો-નરવો હતો, તેનું અચાનક મોત થતા મોતનું કારણ હજુ અકબંધ છે. શું આ મોત તાડીના નશાને કારણે થયું છે કે પછી આ પાછળ કોઈ અન્ય કાવતરું છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તો સ્થાનિક રહીશોમાં ચર્ચા છે કે જો વિસ્તારમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય, તો તંત્ર દ્વારા તેના પર કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? તેવા સવાલો કરાયા હતાં.
