ભરૂચમાં અંકલેશ્વરના સેંગપુર ગામે પાણીની વિકટ સમસ્યા
ભર ઉનાળે બોરના તળ સુકાતા ગ્રામજનો પરેશાન
છેલ્લા 15 દિવસથી ગામમાં નથી આવી રહ્યું પાણી
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની શરૂઆત સાથે જ ગામના બોરવેલોના તળ સુકાઈ જતાં પાણીનો મુખ્ય સ્ત્રોત બંધ થઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં પાણીનો મુખ્ય આધાર બોરવેલ હતા, જે સુકાઈ ગયા છે. આ ઉપરાંત, કુદરતી પાણીનો સ્ત્રોત ગણાતી અમરાવતી ખાડી પણ સુકાઈ જતાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. પાણી મેળવવા માટે ગ્રામજનોને દૂર સુધી જવું પડે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ક્યારેક ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ તે અપૂરતું હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતોને પાણીની અછતને કારણે સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે.
ગ્રામજનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. આ અંગે ગ્રામપંચાયતે જણાવ્યું છે કે હાલ બોરવેલની કામગીરી ચાલી રહી છે અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસરથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે અને ભવિષ્ય માટે લાંબા ગાળાના ઉકેલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
