સુરતમાં કચરાના ઢગલાને લઈ આક્રોશ
જાગૃત નાગરિકે અનોખો વિરોધ કર્યો હતો.
સૈયદપુરા પંપિંગ સ્ટેશન પાસે કચરાના ઢગમાં બેસી વિરોધ
સુરતમાં કચરાના ઢગલાને લઈ વારંવાર લોકોમાં તંત્રની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના સૈયદપુરા પંપિંગ સ્ટેશન પાસે કચરાના ઢગમાં બેસી જાગૃત નાગરિકે અનોખો વિરોધ કર્યો હતો.
સુરતમાં કચરાના મુદ્દે એક જાગૃત નાગરિકે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. સૈયદપુરા પંપિંગ સ્ટેશન પાસે કચરાના ઢગ વચ્ચે બેસીને નાગરિકે પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રજા ટેક્સ ભરતી હોવા છતાં વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળતા હોવાના આક્ષેપ સાથે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો કે પાલિકાએ કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા છે, છતાં કચરાનો યોગ્ય નિકાલ થતો નથી અને કચરાના ઢગ યથાવત જોવા મળે છે. સાથે જ કચરા નિકાલના બિલ કેવી રીતે પાસ થઈ જાય છે તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન સેન્ટ્રલ ઝોન અને કોન્ટ્રાક્ટરો સામે મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
