સુરતમાં નીટ યુજીની પરીક્ષાનું આયોજન
આજે દેશભરમાં નીટની પરિક્ષા યોજાઈ
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય તે માટે કડક બંદોબસ્ત ગોઠવાયો
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ યુજી ની પરીક્ષા આજે લેવાઈ હતી. પરીક્ષામાં બપોરના 2:00 વાગ્યાથી 5:00 વાગ્યા સુધી એમ ત્રણ કલાકનું પેપર હતુ. જ્યારે સૌપ્રથમવાર સરકારી સંસ્થાઓમાં નીટનું આયોજન કરાયું હોય સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તકેદારી રખાઈ હતી.
આજે દેશભરમાં નીટની પરિક્ષા યોજાઈ હતી. દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તો ગુજરાતના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી. નોંધનિય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટની પરીક્ષા લેવાઈ હતી. મહત્વનું છે કે, આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો ઘટાડો થયો છે. વધુમાં જે (MMBS) એમબીબીએસની 780 કોલેજોની 1 લાખ 18 હજાર 190 સીટો, (BDS) બીડીએસની 323 કોલેજોની 27 હજાર 618 સીટો અને અન્ય અભ્યાસક્રમોની કુલ 2.5 લાખ સીટો માટે લેવાઈ હતી. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં સવારે 11:00થી બપોરે 1:30 વાગ્યા સુધી પ્રવેશ મેળવી લીધો હતો. પરીક્ષામાં કોઈપણ ગેરરીતી ન સર્જાય તે માટે ખાસ તકેદારી રખાઈ હતી. વિદ્યાર્થીઓને પરીક્ષાના બે કલાક પહેલા એન્ટ્રી અપાઈ હતી. એન્ટ્રી ગેટ પર વિદ્યાર્થીઓને મેટલ-ડિટેક્ટરથી ચેક કરાયા હતાં. આ સાથે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશે તે પહેલા તેમનું ફિઝિકલ ચેકિંગ કરાયુ હતું. મહત્વનું છે કે, પરીક્ષામાં પેપર મોકલવાનું કામ ભારતીય પોસ્ટ વિભાગને સોંપાયું હતું.