સુરતના કતારગામમાં હીરાનાં 7 વેપારીઓ બન્યા છેતરપિંડીનો ભોગ
3.18 કરોડની છેતરપિંડીનો થતા પોલીસ ફરિયાદ
ઇકો સેલે ગુનામાં 3 ત્રણ આરોપીઓની ધરપકડ કરી
કતારગામ વિસ્તારના 7 હીરા વેપારીઓ પાસેથી 3.18 કરોડના હીરા ઉધારમાં લઈ તેમને પેમેન્ટ નહીં ચૂકવીને છેતરપિંડી કરવામાં આવી હતી. ઇકો સેલે આ ગુનામાં 3 ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં બે આરોપીઓ પિતા-પુત્ર છે. ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછમાં ઈકો સેલને જણાવ્યું હતું કે તેઓએ કંબોડિયાની પાર્ટીને હીરા વેચ્યા હતા પરંતુ તે પાર્ટીએ રૂપિયા નહીં આપતા રોટેશન ખોરવાઈ ગયું હતું.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોરમાં શુકન રિવેરામાં રહેતા મહેશ આંબારામ કાનાણી હીરાનો વેપાર કરે છે. તેઓએ 23 જાન્યૂઆરી 2025થી 16 ફેબ્રૂઆરી 2025 દરમિયાન હીરા દલાલો મારફત આરોપીઓ ડભોલી સુર્યમ રેસિડેન્સીની બાજુમાં આવેલ કર્ણાવતી રો હાઉસમાં રહેતા મહેશ ધનજી લાખાણી અને તેના પુત્ર જૈમિન મહેશ લાખાણી તથા કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર આવેલ હાથી મંદિર સામે અક્ષરધામ સોસાયટીમાં રહેતા તરૂણ તળસીભાઈ જાસોલીયાનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ સમયસર રૂપિયા ચૂકવી આપવાનો વિશ્વાસ અપાવીને વેપારી મહેશ કાનાણી પાસેથી ઉધારમાં હીરા ખરીદ્યા હતા. મહેશ કાનાણીએ આરોપીઓને 1.04 કરોડ રૂપિયાના હીરા આપ્યા હતા. પરંતુ આરોપીઓએ મહેશ કાનાણીને સમયસર રૂપિયા ચૂકવ્યા ન હતા. મહેશ કાનાણીએ માર્કેટમાં તપાસ કરતા ખબર પડી કે આરોપીઓએ અન્ય 6 વેપારીઓ પાસેથી ઉધારમાં 2.14 કરોડ રૂપિયાના હીરા ઉધારમાં ખરીદી તેમને પણ રૂપિયા ચૂકવ્યા ન હતા. મહેશ કાનાણીએ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી મહેશ ધનજી લાખાણી અને જૈમિન મહેશ લાખાણી પિતા-પુત્ર છે. આરોપીઓએ પોલીસને કહ્યું કે, કંબોડિયાની પાર્ટીએ રૂપિયા ન આપતા રોટેશન ખોરવાયું હતું. હાલ તો ઈકો સેલે ત્રણેય ઠગોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.