સુરતમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારનું સમ્માન
શિક્ષા કે શિલ્પકાર સમારોહનું ભવ્ય આયોજન
અનેક શિક્ષણવીરોને ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું
સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુરતમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો, આચાર્યો અને શિક્ષણ કર્મયોગીઓના સન્માન માટે શિક્ષા કે શિલ્પકાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અનેક શિક્ષણવીરોને ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહેલા સુરત શહેરના પાલ અડાજણ ખાતે આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે એસઆરકે નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શિક્ષા કે શિલ્પકાર સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બોર્ડ પરીક્ષા-2026માં શત-પ્રતિશત પરિણામ આપનાર 365 શાળાના આચાર્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બોર્ડ પરીક્ષામાં મહત્વની ફરજ બજાવનાર 69 લહિયાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. શિક્ષણ ક્ષેત્રે પાંચ વર્ષની સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશપત્રો અર્પણ કરવામાં આવ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષકોના યોગદાનને બિરદાવતી અનેક ક્ષણો જોવા મળી હતી. આ ગૌરવપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ શિક્ષકોને સમાજના સાચા શિલ્પકાર ગણાવી તેમના યોગદાનને બિરદાવ્યું હતું.
