સુરતના માંગરોળ ખાતે હિંદુ ધર્મમાં ઘર વાપસી કાર્યક્રમ
જલેબી હનુમાન મંદિરમાં યોજાયો ઘર વાપસી કાર્યક્રમ
10 લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડીને હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી
સુરત જિલ્લાના માંગરોળ ખાતે આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 10 જેટલા આદિવાસી સભ્યોએ ખ્રિસ્તી ધર્મ છોડીને પોતાના મૂળ હિંદુ ધર્મમાં પુનઃ પ્રવેશ કર્યો છે.
સુરત જિલ્લાના માંગરોળ ખાતે આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરે ‘ઘર વાપસી’ કાર્યક્રમમાં 4 મહિલાઓ અને 6 પુરુષો સહિત બાળકો અને યુવાનો જોડાયા હતા. આ પ્રસંગે આદિવાસી પરિવારોએ ધર્મ પરિવર્તનની સાથે વ્યસનમુક્તિના સંકલ્પ પણ લીધા હતા. સમગ્ર ધાર્મિક વિધિમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દેવ બિરસા સેનાના આગેવાનએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 10 સભ્યો, જેઓ કોઈ કારણોસર પોતાની મૂળ પરંપરા અને સનાતની સંસ્કૃતિ છોડીને ચર્ચમાં જતા રહ્યા હતા, તેમણે સ્વેચ્છાએ સંપર્ક કર્યો હતો. જેથી માંગરોળના હનુમાન મંદિરની પવિત્ર ભૂમિ પર સૂર્યદેવ અને અગ્નિદેવની સાક્ષીમાં તેમને ફરી મૂળ સનાતની સંસ્કૃતિમાં જોડવામાં આવ્યા છે.
ધર્મ વાપસી કરનારએ જણાવ્યું હતું કે, તેઓ સ્વેચ્છાએ પોતાની જૂની સંસ્કૃતિ અને પરંપરામાં પાછા ફર્યા છે. ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી તેમને પૂર્વજોની પરંપરાઓનું મહત્વ સમજાયું હતું. તેમનો મૂળ ધર્મ સનાતન હિંદુ ધર્મ હોવાથી હવે તેઓ ગૌરવ સાથે પરત ફર્યા છે અને ભવિષ્યમાં પોતાના બાળકોને પણ આ જ સંસ્કૃતિ અને સંસ્કાર આપશે. આદિવાસી પરિવારોની આ સામૂહિક ‘ઘર વાપસી’ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
