ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ.
અત્યાર સુધીમાં 4 બાળકોના થયા છે મોત.
આરોગ્ય વિભાગની ટીમે સરવે અને દવાનો છંટકાવ શરૂ કર્યો.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 3 બાળકોના દુઃખદ મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. મૃત્યુ પામેલા બાળકોમાં વડોદરાના 2 અને રાજસ્થાનના 1બાળકનો સમાવેશ થાય છે, જેમનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. આ તમામ બાળકોના લેબોરેટરી સેમ્પલ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાનું પુષ્ટિ પામ્યું છે. વધુમાં, વિસનગર વિસ્તારમાં પણ એક બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત જોવા મળ્યું છે, જેને તાત્કાલિક વડનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, બાળકોમાં કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો દેખાય કે તરત જ ગભરાયા વગર નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો.
આ ગંભીર સ્થિતિને જોતા રાજ્ય સરકારની આરોગ્ય ટીમ સક્રિય થઈ ગઈ છે. અગાઉ જે વિસ્તારોમાં કેસ નોંધાયા હતા, તેવા કુલ 61 વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્યમંત્રીએ ચેતવણી આપતા કહયું કે, અત્યારે કોઈ ગભરાહટ ફેલાવવાની કોઈ જરુર નથી પરંતુ સાવચેતી રાખવી, લક્ષણો દેખાય તો તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવા અને આરોગ્ય વિભાગ દ્વારા જે સત્તાવાર માહિતી આપવામાં આવે તેના પર જ વિશ્વાસ કરવો. ગભરાવવાની જરુર નથી ટીમ સતત કામગીરી કરી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
