અમરેલીના સિવિલ હોસ્પિટલમાં મોતથી ચકચાર
ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાના શંકાસ્પદ મોતથી ચકચાર
ફોરેન્સિક રિપોર્ટમાં વિલંબ થતા દેવીપૂજક સમાજમાં ભારે આક્રોશ
અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ એક મહિલાનું શંકાસ્પદ મૃત્યુ થતાં ભારે હોબાળો મચી ગયો છે.
ઉમરાળા ગામની મહિલાને 16 તારીખે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગર્ભાશયનું ઓપરેશન કરાયા બાદ 19 તારીખે તેમનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું. મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સિટી પોલીસ સ્ટેશનમાં માત્ર એડી નોંધ કરવામાં આવી છે અને ફોરેન્સિક રિપોર્ટ હજુ આવ્યો નથી, જેના કારણે મામલો વધુ ગરમાયો છે, મૃતકના પરિવારે હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને જ્યાં સુધી ફરજ પરના ડોક્ટર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ મામલે આજે દેવીપૂજક સમાજ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આજે અમરેલી શહેરમાં દેવીપૂજક સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો અને બોટાદ સહિતના આસપાસના વિસ્તારોમાંથી લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેનો ઘેરાવ કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ સામે સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેનરો સાથે આક્રોશપૂર્ણ રેલી કાઢીને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને ન્યાયની માંગણી સાથે રજૂઆતો કરવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
