અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
મીરા દાતર પાસે એસ.ટી બસ અને સ્વીફ્ટ કાર બાઈક સહિત ત્રિપલ અકસ્માત
અકસ્માતમાં સ્વિફ્ટમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ મોત
અમરેલીમાં ભાવનગર સોમનાથ હાઈવે પર એક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એસટી બસ, સ્વિફ્ટ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો સાથે જ 3 લોકોના આ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યાં છે.
રાજ્યમાં વધતા અકસ્માતના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુમાં ફરી અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને લઈને હાઈવે પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, રાજુલાના હિંડોરણા રોડ ઉપર મીરા દાતર પાસે આ અકસ્માત સર્જાયો. જેમાં જાફરાબાદ રૂટની એસટી બસ, સ્વિફ્ટ કાર અને બાઈક વચ્ચે આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં સ્વિફ્ટમાં સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે, સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ અને અને એસટી ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે. સાથે જ કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓના કરુણ મોત થયા છે. જેથી તેમના પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
કારમાં સવાર લોકો પાદરાના રહેવાસી હતા અને તેઓ દીવ તરફથી પરત આવી રહ્યા હતા તેવી માહિતી સામે આવી છે. બીજી તરફ એક બાઈક ચાલક પણ એસટી બસની પાછળ ઘૂસી જવાને કારણે તેને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે રોંગ સાઈડમાંથી આવતી સ્વિફ્ટ કાર ઉછળીને એસટી બસની સાઈડમાં આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ એક બાઈક ચાલક પણ એસટી બસની પાછળ ઘૂસી જતા તેને પણ ઈજા પહોંચી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી