સુરત મનપાની ચુંટણીમાં વોર્ડ 8 ના ઉમેદવાર ઉપર આક્ષેપ
ભાજપ ઉમેદવાર વંદનાબેન ઘોઘારીએ પોતાના સંતાનોની માહિતી છુપાવી
કોંગ્રેસ દ્વારા ચુંટણી પંચમાં ફરિયાદ કરાઈ
સુરત મનપાની ચુંટણીમાં વોર્ડ નંબર 8 ના ભાજપ ઉમેદવાર વંદનાબેન ઘોઘારીએ પોતાના સંતાનોની માહિતી સોગંદનામામા છુપાવી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ચુંટણી પંચમાં ફરિયાદ કરાઈ છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 8 ડભોલી-સિંગણપોરના ભાજપના મહિલા ઉમેદવાર વંદનાબેન ઘોઘારી વિવાદમાં સપડાયા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નિયમો અનુસાર બે થી વધુ સંતાનો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. કોંગ્રેસનો દાવો છે કે વંદનાબેન ઘોઘારીએ તેમના એફિડેવિટમાં સંતાનો હોવાનો ઉલ્લેખ જ કર્યો નથી, જે કાયદાકીય દ્રષ્ટિએ ગંભીર ભૂલ ગણાય છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વંદનાબેનને ત્રણ સંતાનો હોવા છતાં તેમણે સોગંદનામામાં આ વિગત છુપાવી ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પુરાવા સાથે ચૂંટણી પંચમાં ગંભીર ફરિયાદ નોંધાવી ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાથી સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. જો આ આક્ષેપો સાચા સાબિત થશે, તો ભાજપના ઉમેદવારની ઉમેદવારી જોખમમાં મુકાઈ શકે છે. કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં ઉમેદવારના વૈવાહિક જીવનના પાસાઓ ટાંકીને પુરાવા રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વંદનાબેનને તેમના પ્રથમ લગ્ન દરમિયાન બે બાળકો થયા હતા. પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ઠાકરશીભાઈ ઘોઘારી સાથેના બીજા લગ્નથી તેમને વધુ એક સંતાન પ્રાપ્ત થયું હતું. આમ, ટેકનિકલી રીતે વંદનાબેન કુલ ત્રણ સંતાનોના માતા હોવા છતાં તેમણે સોગંદનામામાં આ સત્ય છુપાવ્યું છે. તો આ અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 8 સહિત અન્ય વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારોએ સોગંદનામામાં ગંભીર ભૂલો કરી છે. વારંવાર લેખિત વાંધા ઉઠાવવા છતાં ચૂંટણી પંચ આ બાબતોની નોંધ લેતું નથી, જે તંત્રના પક્ષપાતી વલણ તરફ નિર્દેશ કરે છે.
