જૂનાગઢમાં NEET બાદ હવે BAMSનું પેપર લીક,
12 માંથી 11 પ્રશ્નો પૂછાયા હોવાનો દાવો
20 જુલાઈએ લેવાયેલી પરીક્ષાનું પેપર લીક
દેશભરમાં નીટ પેપર લીકને લઈને જંતરમંતર પર 36 દિવસ સુધી યુવાનો આંદોલન કરતા રહ્યા, શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠી અને આખરે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. આ સમગ્ર ઘટનાક્રમ પછી હવે ગુજરાતમાંથી પણ પેપર લીકનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર વિષયની 20 જુલાઈએ યોજાયેલી પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયાની ગંભીર ચર્ચા ચાલી રહી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાયરલ થયેલા પ્રશ્નોની મૂળ પ્રશ્નપત્ર સાથે સરખામણી કરતાં કુલ 12માંથી 11 પ્રશ્નો એકસરખા હોવાનું સામે આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સમગ્ર મામલાએ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષણજગતમાં પણ ભારે ચિંતા ઉભી કરી છે. કારણ કે રાજ્યભરના 26 પરીક્ષા કેન્દ્રો પર લગભગ 1,200 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જો પેપર લીકની ઘટના સાચી સાબિત થાય તો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની સીધી અસર પડી શકે છે. દેશ હજુ NEET પેપર લીકની ઘટનામાંથી બહાર આવ્યું નથી, ત્યાં ગુજરાતની યુનિવર્સિટીમાં ફરી પેપર લીકના આક્ષેપો સામે આવતા રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. હવે સૌની નજર યુનિવર્સિટીની તપાસ પર છે. જો તપાસમાં પેપર લીકની પુષ્ટિ થશે તો જવાબદારો સામે શું કાર્યવાહી થશે, પરીક્ષા રદ થશે કે નહીં અને વિદ્યાર્થીઓના હિતમાં શું નિર્ણય લેવાશે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
પરીક્ષા સ્ક્વોડમાં ફરજ બજાવનાર ડૉ. અલ્પેશ જાલસાણીયાએ જણાવ્યું કે પરીક્ષા દરમિયાન બપોર બાદ એક ફેકલ્ટી દ્વારા તેમને વોટ્સએપ પર વાયરલ થયેલા પ્રશ્નોની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક યુનિવર્સિટીના કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશનને સમગ્ર બાબતથી અવગત કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે તપાસ અને અંતિમ નિર્ણય યુનિવર્સિટી સ્તરે લેવામાં આવશે. બીજી તરફ, તપાસ દરમિયાન પરીક્ષા સેંટર પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
