અમદાવાદ ચાંદખેડામાં ખીરાથી બે બાળકીના મોતનો મામલો.
દફન કરાયેલા બંને બાળકીના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા.
શંકાસ્પદ મોત લાગતા પોલીસે તપાસ કરી તેજ.
અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઢોસાનું ખીરું ખાધા બાદ એક જ પરિવારના બે માસૂમ બાળકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. આ કરુણાંતિકાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે અને ખાદ્ય પદાર્થોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
દખેડામાં રહેતા વિમલ ગૌરીશંકર પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેનએ રાત્રિના ભોજન માટે બહારથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. ઘરે ઢોસા બનાવીને જમ્યા બાદ ટૂંક સમયમાં જ આખા પરિવારની તબિયત લથડી હતી. આ ઝેરી અસર એટલી જીવલેણ હતી કે સાડા ત્રણ વર્ષની બાળકી મિષ્ટી અને માત્ર અઢી મહિનાની માસૂમ રાહાએ જીવ ગુમાવ્યો હતો. જે બાળકોના કિલકિલાટથી ઘર ગુંજતું હતું, ત્યાં અત્યારે માતમ છવાઈ ગયો છે. બીજી તરફ, ગંભીર હાલતમાં વિમલભાઈ અને ભાવનાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.
ઘટનાની ગંભીરતા જોતા ચાંદખેડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બંને બાળકીઓના મૃતદેહનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે. આ કેસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા સેવાઈ રહી હોવાથી પોલીસે FSLની મદદ લીધી છે. ઘરમાં રહેલા ખીરાના નમૂના અને અન્ય ખાદ્ય સામગ્રીને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. શું આ ખીરું વાસી હતું કે તેમાં કોઈ ઝેરી તત્વ ભળેલું હતું ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જે દુકાનેથી ખીરું ખરીદવામાં આવ્યું હતું તેની પણ પૂછપરછ થવાની શક્યતા છે. એક સામાન્ય ભોજન કેવી રીતે કાળ બનીને ત્રાટક્યું, તે જાણીને સૌ કોઈ સ્તબ્ધ છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
