ખેડા વાઠવાડીમાં ભ્રષ્ટાચારી કેનાલ પર ચાલ્યું બુલડોઝર
2 કિમી સુધીની ભ્રષ્ટાચારી કેનાલને ખોદી નાખવામાં આવી
2 કરોડથી વધુના ખર્ચે થઈ રહ્યું હતું કેનાલનું નવીનીકરણ
ખેડાના વાઠવાડીમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચારનો મામલો ગરમાયો છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હલકી ગુણવત્તાના કામ અંગે મુખ્યમંત્રી અને અધિકારીઓને રજૂઆત કરી છે.
ખેડા જિલ્લાના વાઠવાડી વિસ્તારમાં મહીં કેનાલના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ મામલે મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પોતે સ્થળ તપાસ કરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. તેમણે આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહીની માગ કરી છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, તેમના પોતાના જ ગામમાં મહીં કેનાલના રિપેરિંગ અને નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે, કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં વેઠ ઉતારવામાં આવી રહી છે. રજૂઆતોને પગલે જ્યારે તેઓ પોતે તપાસ કરવા ગયા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી
સ્થળ પર તપાસ દરમિયાન જોવા મળ્યું હતું કે, કેનાલના કામમાં અત્યંત હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ધારાસભ્યએ નિવેદન આપતા કહ્યું કે, કેનાલનું કામ તદ્દન તકલાદી છે. આ અંગે મેં સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે. સરકારી નાણાંનો દુરુપયોગ ચલાવી લેવામાં નહીં આવે. આવનાર સમયમાં આ કેનાલનું કામ કોન્ટ્રાક્ટરના પોતાના ખર્ચે ફરીથી સારી ગુણવત્તા સાથે કરવામાં આવે, જેથી ખેડૂતોને લાંબા સમય સુધી તેનો લાભ મળી શકે.
