પીએમ મોદીના સોમનાથ પ્રવાસને લઈને ભાજપની બેઠક.
ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેએ પીએમના પ્રવાસ અંગે આપી માહિતી.
સોમનાથમાં પ્રથમ વખત યોજાશે સૂર્યકિરણ એર શો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયી દેખાવ બાદ પ્રધાનમંત્રીની આ પ્રથમ ગુજરાત મુલાકાત હશે. જેથી પ્રદેશ ભાજપ દ્વારા તેમના ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદીના આગામી પ્રવાસને સફળ બનાવવા માટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ મુખ્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
PM ના ગુજરાત આગમનને લઈને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને જિલ્લા મહામંત્રીઓએ હાજરી આપી હતી. આજે યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું. સોમનાથ દાદાના દર્શન એ પીએમ મોદીના પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહેશે, જેની તૈયારીઓ માટે સ્થાનિક નેતાઓને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.. 11 મેનો દિવસ ગુજરાત ભાજપ માટે ઉત્સવ સમાન બની રહેશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગુજરાતના કાર્યકરોમાં એક નવો જોશ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીનો આ પ્રવાસ આગામી રાજકીય પ્રવૃત્તિઓ માટે કાર્યકરોમાં નવું બળ પૂરું પાડશે. આમ, 11 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોમનાથ અને વડોદરાના પ્રવાસને લઈને સમગ્ર ગુજરાતમાં અનેરી ઉત્સુકતા જોવા મળી રહી છે. ભાજપ દ્વારા આ પ્રવાસને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી.
સોમનાથની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા પહોંચશે. વડોદરામાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે ભાજપ દ્વારા એક વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો માટે ભાજપે અત્યારથી જ પાયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરાના માર્ગો પર પીએમ મોદીનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે સંગઠન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
