સુરતના ડીંડોલીમાં અગ્નિવીર જવાને આપઘાત કરતાં ચકચાર
અગ્નિવીર જવાને ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
છ મહિના પહેલા જ થયા હતા લગ્ન
સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા અને અગ્નિવીર તરીકે સેનામાં જોડાયેલા જવાને પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તો આર્મી જવાનના માત્ર છ મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. છેલ્લા એક મહિનાથી રજા પર સુરત આવ્યા હતાં.
સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાંથી ભારતીય સેનાના જવાનના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ભારત સરકારની અગ્નિવીર યોજના હેઠળ તાજેતરમાં જ સેનામાં જોડાયેલા જવાને પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. મહત્વની વાત એ છે કે, જવાનના માત્ર છ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેઓ છેલ્લા એક મહિનાથી રજા લઈને સુરત ખાતે પોતાના ઘરે આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ જવાન અને તેમની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ જ ઝઘડાના કારણે જવાને અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
