સુરત શહેરના મોરા ટેકરા વિસ્તારમાં દુર્ઘટના
ઝાડ પડતાં એક યુવકનું કરુણ મોત થયું
ત્રણ દિવસ બાદ મૃતકની ઓળખ મુકેશકુમાર યાદવ તરીકે થઈ
સુરત શહેરના મોરા ટેકરા વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન થયેલી એક દુર્ઘટનાએ માનવતાને ઝંઝોડી નાખી છે, જ્યાં ઝાડ પડતાં એક યુવકનું કરુણ મોત થયું છે. મૃતકની ઓળખ મુકેશકુમાર યાદવ તરીકે થઈ છે, જેની ઉંમર અંદાજે ૩૪ થી ૩૫ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી હતા અને સુરતમાં રહેતા હતા.
મળતી માહિતી મુજબ, ૧૯ તારીખે આવેલા વાવાઝોડા દરમિયાન આ દુર્ઘટના બની હતી. ઘટનાના બાદ મુકેશકુમાર ઘરે પરત ન આવતા પરિવાર ચિંતિત બન્યો હતો. ત્યારબાદ તેમની પત્ની દ્વારા ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ અને પરિવાર દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે ૨૨ તારીખે સવારે મુકેશકુમારની લાશ મળી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો પણ હાજર રહ્યા હતા. મુકેશકુમારના અવસાનથી પરિવાર પર આફત તૂટી પડી છે. તેમના પાછળ ૭ વર્ષનો નાનો દીકરો અને પત્ની નિરાધાર બની ગયા છે. પત્નીએ પ્રશાસન સમક્ષ આર્થિક સહાય અને યોગ્ય વળતર આપવા માંગ ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાના કારણે સમગ્ર વિસ્તારમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને ભારે નુકસાન નોંધાયું હતું. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રશાસન સામે સુરક્ષા તથા રાહત કામગીરી વધુ મજબૂત બનાવવા માંગ ઉઠી રહી છે.
