‘એકલતા એક દિવસમાં 15 સિગારેટ પીવા જેટલી ખતરનાક’, તમારા શરીર પર તેની શું અસર થાય?
એકલતા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ છે. અમુક નિષ્ણાતોએ તો એટલે સુધી કહી દીધું છે કે આ વાત એક દિવસમાં 15 સિગારેટ પીવા જેટલું જ ખતરનાક છે.
ભલે આપણે સતત આપણા સ્માર્ટફોન સાથે જોડાયેલા રહેતા હોઈએ, જેમાં એક દિવસમાં સેંકડો મૅસેજો આવતા હોય છે, પરંતુ તેનાથી આપણને હંમેશાં સારું નથી લાગતું.
હકીકતમાં તો આ સતત થનારો સંપર્ક આપણા પર ભારે પડી શકે છે. આના કારણે ઘણા લોકો થોડી ઘણી શાંતિ માટે પણ તરસી જાય છે.
બ્રિટનના શેફીલ્ડ હૉલમ યુનિવર્સિટીમાં એકલતા વિશે ભણાવતાં એન્ડ્રિયા વિગફીલ્ડનું કહેવું છે કે એકલતા એક અસહજ ભાવના છે.
આ ત્યારે પણ પેદા થઈ શકે છે, જ્યારે તમે તમારા સંબંધોની સરખામણી બીજા સાથે કરો છો અને તમને લાગે છે કે તમારી મિત્રતા એટલી મજબૂત નથી.
જો તમે એકલા હો, તો જલદી જ તમને એકલતાનો અનુભવ થઈ શકે છે. પરંતુ એ વાત પણ સત્ય છે કે ભીડમાં પણ તમે એકલતા અનુભવી શકો છો.
વિગફીલ્ડ ચેતવણી આપતાં કહે છે કે એવું અનુભવવું કે તમે કોઈના નથી કે તમારા સંબંધો એટલા મજબૂત નથી, આવું થવાથી પણ તમે દુ:ખી અને એકલા અનુભવી શકો છો.
એકલતા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે.
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના તાજેતરના એક સંશોધનમાં ખબર પડી છે કે હૃદયની બીમારી, સ્ટ્રોક (મસ્તિષ્ક સુધી લોહીના પુરવઠામાં રુકાવટ) અને ટાઇપ 2 ડાયાબિટીસના ખતરામાં વધારો થઈ શકે છે.આ સાથે જ ચેપ લાગવાની આશંકા પણ વધી જાય છે.
વિગફીલ્ડ કહે છે કે એ વાતના પણ પુરાવા મળ્યા છે કે એકલતાથી યાદશક્તિમાં કમી, ડિપ્રેશન, ચિંતા અને સમય પહેલાં મૃત્યુનો ખતરો પણ વધી જાય છે.
એ વાત સ્પષ્ટ નથી કે એકલતા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે.
ડૉક્ટરોનું માનવું છે કે આવું એટલા માટે થાય છે, કારણ કે એકલતાના કારણે શરીર પર વધુ તાણ પડે છે અને માનસિક ગતિવિધિ ઘટે છે.
આનાથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યા વધુ વકરી શકે છે. એકલતા એ મોટી સમસ્યા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ચારમાંથી એક વૃદ્ધ વ્યક્તિ સામાજિકપણે એકલાઅટૂલા અનુભવી શકે છે. તેમજ પાંચથી 15 ટકા સુધી કિશોરો પણ આ સમસ્યાતી પીડાતા હોય છે.