પાલીતાણા-તળાજા તાલુકાના ગામડાઓમાં થતી ખનીજ ચોરી રોકવા માંગ
અનેક ગામના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખનીજ ચોરી ડામવા ઉગ્ર માંગ કરી
ભાવનગર જિલ્લાના તળાજા તેમજ પાલીતાણા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં આવેલી સરકારી ચરાણની જમીનોમાં તેમજ શેત્રુંજી નદી તથા અન્ય નાની મોટી નદીઓમાંથી મોટા પ્રમાણમાં ખનીજ પથ્થરો કાઢવામાં આવતા હોય જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી હોય આ ખનીજ ચોરી ડામવા માટે અનેક ગામના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
પાલીતાણા તથા તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ખનીજ ચોરીનું દુષણ સૌથી મોટું દુષણ ગણાય છે આ ખનીજ ચોરી થતી સરકારી તિજોરી ને વર્ષ દહાડે કરોડો રૂપિયાની ખોટ તો બીજી તરફ પર્યાવરણને પારાવાર અને ક્યારેય ભરપાઈ ન થઈ શકે એ હદે નુકસાન થઈ રહ્યું છે છતાં ખનીજ માફિયાઓ સામે જવાબદાર તંત્ર તથા સરકારના હાથ કાર્યવાહી કરતા થરથર ધ્રૂજે છે એ વાત સત્ય છે ત્યારે આ ખનીજ ચોરી ના પાપે અલગ અલગ ગ્રામજનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે પાલીતાણા પંથકમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી મોટા પ્રમાણમાં રહેતી તથા અન્ય ખનીજો કાઢવામાં આવતી હોય અને જેને પગલે નદીમાં મોટા મોટા કાસ ખોદવામાં આવતા પૂરના ભારે પ્રવાહ સમયે ખેતીની જમીનોનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થાય છે તો બીજી તરફ માલધારીઓના પશુઓ આ કાસમાં ફસાઈ જવાના કારણે મોતને ભેટતા હોય છે આ દુષણને ડામવા માટે અગાઉ પણ વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આ જ દિન સુધી કોઈ પગલાં લેવામાં ન આવતા આજરોજ તળાજા તથા પાલીતાણા તાલુકાના અનેક ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેકટરને રૂબરૂ મળી સરકાર માલિકીની ગૌચરણ ની જગ્યા માંથી તેમજ નદીઓ અને અન્ય વિસ્તારોમાંથી ખનીજ ચોરી બંધ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે એ સાથે એવી ચિમકી પણ ઉચ્ચારી હતી કે જો કલેક્ટર દ્વારા આ અંગે પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે અને આ અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે અને ગામો ગામ આ લડત શરૂ કરવામાં આવશે…
