પોલીસની માનવતાપૂર્ણ કામગીરી
સુરત કોર્ટ પાસે એક વૃદ્ધ દંપતી અકસ્માતનો ભોગ બન્યા
મહિલા પીઆઈએ પોલીસ વાનમાં સિવિલ ખસેડ્યા,
વૃદ્ધાના માથામાં 8 ટાંકા આવ્યા
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારની પોલીસની ફરી એકવાર પોતાની તત્પરતા અને માનવતા સામે આવી છે. સુરત કોર્ટ પાસે એક વૃદ્ધ દંપતી અકસ્માતનો ભોગ બન્યા હતા. વૃદ્ધાને માથામાં ઇજા થવાથી લોહી પણ નીકળી રહ્યું હતું. દરમિયાન ત્યાંથી પસાર થતા સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ એ. શાહે તાત્કાલિક પોલીસ વાનમાં જ દંપતીને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં વૃદ્ધાન માથામાં આઠ ટાંકા આવ્યા હતા.
રાપ્ત માહિતી અનુસાર, કોર્ટ નજીક એક વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહને અડફેટે લેતા પતિ-પત્ની બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. દંપતી રસ્તા પર પડી ગયેલાં હતાં અને આસપાસનાં લોકો એમ્બ્યુલન્સ માટે રાહ જોઈ રહ્યાં હતાં. તેવી ઘડીમાં પીઆઈ શીતલ એ. શાહ તેમના સ્ટાફ સાથે સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા અને કોઈપણ વિલંબ કર્યા વિના પોલીસ વાન રસ્તા પર ઉભી રાખીને દંપતીને પોલીસ વાનમાં લઈને સીધા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. પીઆઈ શીતલ શાહ સ્વયં હોસ્પિટલ સુધી આવ્યા અને ત્યાં દંપતીને સારવાર મળે તેની દેખરેખ રાખી હતી. હોસ્પિટલ સ્ટાફ સાથે સંકલન કરીને તાત્કાલિક સારવાર શરૂ કરાવવામાં આવી હતી. પીઆઈ શીતલ શાહે જણાવ્યું હતું કે, આ વૃદ્ધ મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી લોહી નીકળી રહ્યું હતું. જેથી કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના જ પોલીસ વાનમાં જ સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા.વૃદ્દાના માથામાં આઠ જેટલા ટાંકા આવ્યા છે, હાલ તેમની સ્થિતિ સ્થિર છે. પ્રતિદર્શીઓ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે, પોલીસ સામાન્ય રીતે ઘટના પછી આવે છે એવી માન્યતા હોય છે, પણ અહીં તો સલાબતપુરા પોલીસનો પ્રતિસાદ તરત મળી ગયો હતો. પી.આઈ. શીતલ શાહની માનવતાપૂર્ણ કામગીરી સરાહનીય છે.