બારડોલીમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
સ્ટેશન રોડ પર આવેલી ત્રણ વર્ષ જૂની ટાંકી જેસીબીની મદદથી જમીનદોસ્ત કરાઈ
બારડોલીના સ્ટેશન વિસ્તારમાં આવેલી પાંચ લાખ લિટરની ક્ષમતાવાળી જર્જરિત જૂની પાણીની ટાંકીને આજે ધડાકાભેર તોડી પાડવામાં આવી છે. નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટમાં આ ટાંકીને ઉતારી લેવાની ભલામણ કરવામાં આવી હતી, જેને પગલે આ નિર્ણય લેવાયો હતો. આ કામગીરીના કારણે અસ્તાન રોડને આગામી 8મી જૂન સુધી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેનાથી એસ.ટી. બસ સેવાઓના રૂટમાં પણ ફેરફાર કરાયો છે.
આજે સવારથી જ ટાંકી તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોઈપણ અણબનાવ ટાળવા માટે, ટાંકી તોડતા પહેલાં જ અસ્તાન રોડને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. રોડની બંને તરફ સુરક્ષા માટે પતરા ગોઠવી દેવામાં આવ્યા હતા. મશીન દ્વારા ટાંકીના પ્રથમ ત્રણ પિલર તોડતાની સાથે જ છ પિલર પર ઉભેલી આ વિશાળ ટાંકી ધડાકાભેર ધરાશાયી થઈ હતી. આ ટાંકી તોડવાની કામગીરીને કારણે અસ્તાન રોડ 8મી જૂન સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. પરિણામે, એસ.ટી. બસો હવે તેમના નિર્ધારિત રૂટને બદલે શાસ્ત્રી રોડ અને શિવાજી ચોક થઈને પસાર થશે, જેનાથી મુસાફરોને થોડી અગવડતા પડી શકે છે. નગરપાલિકા દ્વારા આ જ જગ્યા પર જૂની ટાંકી કરતાં બમણી ક્ષમતાવાળી, એટલે કે 10 લાખ લિટરની નવી પાણીની ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નવી ટાંકી બનવાથી ભવિષ્યમાં સ્ટેશન વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠાનું દબાણ નોંધપાત્ર રીતે સુધરશે અને પાણીની સમસ્યા હળવી થશે તેવી અપેક્ષા છે….